Sunday, May 25, 2008

Parivartan no Pravah (પરિવર્તનનો પ્રવાહ) - Ramana Maharshi

If you cannot read the article, than copy paste into your word document: Font Arial Unicode MS required.

(Created by itrans scheme: to read more about itrans click the label itrans on the right panel)



વેંકટરામને એ સુંદર મધુમય મંદિરની નિયમિત રીતે મુલાકાત લેવા માંડી. એ અનુપમ સૌન્દર્યસભર સજીવ મંદિરે એમના અંતરનું ઊંડું આકર્ષણ કર્યું. ત્યાંથી એમને પ્રેરણા મળવા માંડી. એમનો પ્રાણ પ્રજ્ઞાના પાવન પ્રકાશથી પુલક્તિ થવા લાગ્યો.

મીનાક્ષી મંદિર એમનું પરમ પ્રેરણાસ્થાન થઈ પડ્યું. ત્યાંના સરસ શાંત વિશાળ મંડપમાં બેસીને એ ભક્તિભાવયુક્ત હૃદયે ઈશ્વરને અંતરના અંતરતમમાંથી પ્રાર્થના કરતાં કહેતા કે પ્રભુ, મારા પર કૃપા કરો ને મને તમારી વિશુદ્ધ ભક્તિનું દાન દો. હું તમારાં શ્રીચરણોમાં મસ્તક નમાવીને એ જ ભિક્ષાની યાચના કરૂં છું. તમારા અનુગ્રહ પ્રાપ્ત અનેક શરણાગતોની શ્રેણીમાં મને પણ સ્થાન આપો. નાયનારોના જીવનમાં પ્રકટેલા ભક્તિપ્રવાહ જેવો જ ઉત્તમ આદર્શ ભક્તિપ્રવાહ મારા જીવનમાં પ્રકટ હો !

એવી પ્રાર્થના કરતી વખતે એમના હૃદયના સમસ્ત તાર રણકી ઊઠતા. એમનું રોમેરોમ રાગે રંગાઈ જતું. એ પ્રાર્થના મુખમાંથી નહોતી નીકળતી પણ પ્રાણમાંથી પ્રકટતી. એનું ઉદ્ ભવસ્થાન આત્મા હોવાથી એ અતિશય અસરકારક થઈ પડતી. એ વખતે એમની આંખમાંથી અશ્રુ ટપકતાં, એમને રોમાંચ થતાં ને હૃદય રાગમય બની જતું. પ્રાર્થના જ્યારે કોઈ પરિપાટીનું પાલન કરવા માટે નહિ પરંતુ જીવનની એક અનિવાર્ય આવશ્યકતારૂપે થતી હોય છે ત્યારે અત્યંત આનંદદાયક, પ્રેરક ને શ્રેયસ્કર થઈ પડે છે. એમની પ્રાર્થનાના સંબંધમાં પણ એવું જ બન્યું. એ એક પ્રકારની આત્મિક સાધના અથવા આરાધના બની ગઈ. એમને એનાથી અનંત આનંદ મળવા માંડ્યો. એમના આતુર અંતરને ખૂબ ખૂબ રાહત મળી. એ એમના આત્મનિવેદનનું એક અસરકારક અમોઘ સાધન થયું.

Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

0 comments:

Post a Comment | Feed



 
^

Powered by BloggerINDIASPIRITUALITY Lite by UsuárioCompulsivo
original Washed Denim by Darren Delaye
Creative Commons License